અમદાવાદ
પોક્સો એક્ટનું પાલન ખૂબ જ કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવું ખૂબ જ આવશ્યક- હર્ષ સંઘવી

બાળકો પરના જાતીય શોષણના ગુનાઓના ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં કડક સજા અપાવી ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
……………
::મંત્રી હર્ષ સંઘવીઃઃ
પોક્સો એક્ટનું પાલન ખૂબ જ કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવું ખૂબ જ આવશ્યક
ગુન્હાની ગભીરતાને સમજી રાત દિવસ જોયા વિના ગુનાની ઝડપી તપાસ કરનાર પોલીસ અધિકારીઓ તથા ન્યાયતંત્રની કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી
જાતીય શોષણનો ભોગ બનેલા બાળકને ઝડપી ન્યાય અપાવવામાં ત્વરિત પોલીસની મદદ લેવા અપીલ
……………
“બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો” વિષય પર NFSU ખાતે એક સલાહકારી બેઠક યોજાઈ
……………
પોક્સો અધિનિયમના અમલીકરણમાં રહેલી ખામીઓ અને પડકારરૂપ મુદ્દાઓના નિરાકરણ અંગે ચર્ચા-પરિસંવાદ થકી રોડમેપ તૈયાર કરાશે
………………
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તેમજ બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંયુક્ત ઉપક્રમે “બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો” વિષય પર આજે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક સલાહકારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધીશશ્રીઓ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વકીલો, ફોરેન્સિક નિષ્ણાંતો તથા આઠ રાજ્યના પોલીસ અધિકારીઓ તથા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.
બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં કન્વીક્શન રેટ વધારવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં આયોજિત કરવા બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો આભાર વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, બાળકો ઉપર થતી જાતીય સતામણી અટકે તથા આ પ્રકારના ગુનાઓ આચરતા વિકૃત નરાધમોને કડકમાં કડક સજા થાય તે બાબતમાં વિશેષ ગંભીરતા ખૂબ જ જરૂરી છે. આ પરિસંવાદ તે દિશામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે. બાળકો ઉપર જાતીય સતામણીના ગુનાઓમાં પોલીસ ફરિયાદથી માંડીને ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા માટે ફોરેન્સિક સપોર્ટ તેમજ કોર્ટ કાર્યવાહી અને ગુનામાં સજા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સવિશેષ બારીક તકેદારી રાખવી જરૂરી છે. જેના કારણે જ ગુજરાતમાં આવા ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ચાર્જશીટ અને કડક સજા અપાવવામાં સફળતા મળી છે.
ગુજરાતમાં નાગરિકોને પોક્સો એક્ટના પાલન ઉપર વિશ્વાસ છે તેની પાછળ આ ગુનાઓમાં ગુજરાત પોલીસનું ઝડપી ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ અને જસ્ટિસ ડિલિવરી સ્પીડ કારણભૂત છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦ દિવસોમાં ચાર્જશીટને બદલે ગુજરાતમાં ૬૦ દિવસમાં ચુકાદો આવી જાય અને આ ગુનામાં ભોગ બનનાર બાળકો તથા તેના પરિવારને ત્વરિત ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થાને કારણે ગુજરાતમાં હવે આવા ગુનેગારો પર લગામ લાગી છે.
મંત્રીએ છેલ્લા સાત-આઠ મહિનામાં પોક્સો અંતર્ગત ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને તે પહેલા ગુનામાં પોલીસે રાત-દિવસ એક કરીને ખુબ જ ઝડપી કરેલી તપાસ અને ચાર્જશીટના દાખલા આપી જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા એ આપણા સૌની સૌથી મોટી જવાબદારી છે. વિવિધ સરકારની રાજકીય વિચારધારા અલગ હોઈ શકે પણ સમાજ પ્રત્યેની જવાબદારી એક જ હોવી જોઈએ. બાળકો સાથે જાતીય સતામણી કરતા તત્વોને કડકમાં કડક સજા થાય તે આપણી સૌની જવાબદારી છે અને તે માટે આપણે સૌ પોલીસ તંત્ર, ન્યાય તંત્ર તેમજ બાળ અધિકાર સંરક્ષક સંસ્થાઓએ એક થઈને જાગૃતતા લાવવી પડશે.
સમાજના અગ્રણીઓને નમ્ર અપીલ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળક જ્યારે જાતીય શોષણનો શિકાર બને છે ત્યારે સમાજ શું કહેશે તે ડર પરિવાર-સમાજનું સૌથી મોટું દૂષણ છે. આ દૂષણ દૂર કરવાની જરૂર છે અને જાતીય શોષણનો ભોગ બનેલા બાળકને ન્યાય અપાવવામાં ત્વરિત પોલીસની મદદ લેવામા આવે તો આ પ્રકારના ગુનાઓને નિયંત્રણમાં લાવવામાં ખુબ જ ઝડપી સફળતા મળશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, બાળકો વિરૂદ્ધ થતા જાતીય અત્યાચારના ગુનાઓમાં એક સ્પષ્ટ તારણ બહાર આવે છે કે, ભોગ બનનાર બાળકનુ જાતીય શોષણ અજાણ્યા તત્વો ઉપરાંત મહદંશે પડોશી, સંબંધી-ઓળખીતાઓ કે જાણભેદુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. જે અંગે બાળકો તથા પરિવારજનોમાં જાગૃતતા લાવવા આ દિશામાં વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે.
સંઘવીએ કહ્યુ કે, ગુનેગારોમાં આ પ્રકારના ગુના આચરતા પહેલા ગુનાની ગંભીરતા સમજાય તે માટે દક્ષીણ ગુજરાતમાં અમે એક પહેલ શરૂ કરી છે. સજા પામેલા ગુનેગારોની મનોસ્થિતિ, પસ્તાવા તથા પરિવારની માનસિક સ્થિતિ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મો બનાવી નાગરિકો વચ્ચે જઇ પોલીસ તંત્ર દ્વારા તેને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેનાથી સમાજમાં જાગૃતિ આવે અને આવા ગંભીર ગુનાઓ આચરતા પહેલા ગુનેગારોમાં ડર પેદા થાય.
આ સલાહકારી બેઠકમાં પોક્સો એક્ટના અમલીકરણમાં અવરોધરૂપ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રી પ્રિયાંક કાનુનગોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં આવી જ વિવિધ ઝોનની બેઠકો ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ અને મણિપુર ખાતે યોજાઇ ગઇ છે. જેમા પોક્સો અધિનિયમ-૨૦૧૨ના અમલીકરણમાં રહેલી ખામીઓ અને પડકારરૂપ મુદ્દાઓના નિરાકરણ અંગે ચર્ચાઓ કરી તેના માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના નિષ્કર્ષ સ્વરૂપે પોક્સોની જોગવાઈઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અને બાળ સંરક્ષણની યોજનાઓ સાથે જોડવામાં આવશે. તપાસકર્તા પોલીસ અધિકારીઓ, મેડિકલ અને ફોરેન્સિક નિષ્ણાતો, વકીલો, પબ્લિક પ્રોસિક્યુટર વગેરેની આવા ગંભીર કેસોની સંવેદનશીલતા અંગેની તાલીમ આપી ટ્રાયલ કોર્ટમાં પોક્સો અંગેના કેસોનું ભારણ ઘટાડવા માટેના નિરાકરણમાં મદદ લેવા સહિતના પગલાઓ રોડમેપમાં સામેલ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય સચિવ રૂપાલી બેનર્જી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ.પૂર્વી પોખરિયાલ, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના નાયબ નિયામક અનુરાગ કુમાર, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમીના સેન્ટર ફોર ચિલ્ડ્રનના ફેકલ્ટી ઇન્ચાર્જ ડૉ.કે.પી.એ ઇલિયાસ, રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ અશોકકુમાર જૈન તેમજ મધ્ય પ્રદેશ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, છત્તીસગઢ તેમજ ઝારખંડ મળી આઠ રાજ્યના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ