આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પાટણમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ઘણા દિવસથી ધરણા ઉપર બેઠા છે, માત્ર પાટણના જ નહીં ગુજરાતના તમામ કર્મચારીઓ ધરણા ઉપર બેઠા છે. એમની માંગ છે કે લઘુતમ વેતન આપવામાં આવે. એમને જે કુકિંગ ચાર્જ આપવામાં આવે છે એ માત્ર 2.80 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે ગેસના સિલિન્ડરનો ભાવ 350-400 રૂપિયા હતો ત્યારે આ ભાવ આપવામાં આવતો હતો, અત્યારે સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા છે તો સ્વાભાવિક છે કે એમને એના પ્રમાણે મળવું વેતન જોઈએ. આજે મેં છાવણી પર મુલાકાત લીધી છે, અને એમને આશ્વાસન આપ્યું છે કે આમ આદમી પાર્ટી ની સરકાર આવતાની સાથે બે મહિનામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગ પૂરી કરવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનામાં જે પણ અનાજ આપવામાં આવે છે તે બહુ જ સડેલું અનાજ આપવામાં આવે છે, ક્યાંક તો ઈયડવાળું અનાજ આપવામાં આવે છે, તો તમામ જગ્યાઓ ઉપર ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીને સારામાં સારું મધ્યાહન ભોજન મળી રહે, બાળકોને પૌષ્ટીક ખોરાક મળી રહે, બાળકો કુપોષણ માંથી બહાર આવે એના માટેની વ્યવસ્થા કરીશું. અત્યારે કુપોષિત બાળકો છે તો તેને તમે દૂધ સારું આપશો, એને સારો ખોરાક આપશો તો એ બાળકો કુપોષણ માંથી બહાર આવશે, ત્રણ લાખથી વધારે બાળકો ગુજરાતમાં કુપોષિત છે. તે તમામને બજેટ વધારે ફાળવીને મધ્યાહન ભોજન યોજનાના જે આગેવાનો છે, કર્મચારીઓ છે એમને સાથે રાખીને સારો ખોરાક મળી રહે, વિવિધ પ્રકારનો ખોરાક મળી રહે એવી પણ વ્યવસ્થા આમ આદમી પાર્ટી કરવા બંધાયેલ છે.