ગુજરાત
તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે, પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ : અરવિંદ કેજરીવાલ

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવાની ગેરંટી આપી.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ
પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો, એલઇડી, વીસીઇ, શિક્ષકો, ખેડૂતો બધા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જેમ આદમી પાર્ટીની સરકાર બનશે, તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તે બધા આ દેશના નાગરિક છે, તેમનો પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તેઓ દુઃખી છે અને તેઓને સરકારમાં પરિવર્તન ઇચ્છે છે તો પરિવર્તન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
મારો એટલો જ વાંક છે કે, અમે ગુજરાતના લોકોની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહી છેઃ અરવિંદ કેજરીવાલ
ગુજરાતની જનતા આ લોકોની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઈ છેઃ અરવિંદ કેજરીવાલ
તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે, પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ : અરવિંદ કેજરીવાલ
શહેરી વિસ્તારની 66 વિધાનસભાની સીટોમાં જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી, આ વખતે એમને ત્યાં હારનો સામનો કરવો પડશે: અરવિંદ કેજરીવાલ
આ લોકો વારંવાર આવે છે અને કહે છે કે વધુ એક તક આપો, પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીંઃ અરવિંદ કેજરીવાલ
જે વ્યક્તિ એમ કહે છે કે જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તો સમજી લો કે તેમની નિયતમાં ખોટ છે: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરતા નથી આવડતું, મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ
ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા: અરવિંદ કેજરીવાલ
જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું, તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએઃ અરવિંદ કેજરીવાલ
ચંદીગઢ હોસ્ટેલમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે, જે દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અમે તેમને કડકમાં કડક સજા અપાવીશું, આવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તેમની એક દિવસીય મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે 1:00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહીત સેંકડો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે, ખૂબ ગુસ્સે છે અને સેક્રેટરીટનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે. તેમની મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. હું તે તમામ મિત્રોને આશ્વાસન આપું છું, ગેરંટી આપું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરીશું. ગઈકાલે જ પંજાબના સીએમએ જાહેર કર્યું કે તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરવાના આદેશ આપી દીધા છે. જેમ અમે પંજાબમાં આનો અમલ કરવા જઈ રહ્યા છીએ તેવી જ રીતે ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરીશું. હું તમામ સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે તમારી લડત ચાલુ રાખો જો આ સરકાર કરી આપે તો સારું છે અને જો આ સરકાર નહીં કરે તો અમારી સરકાર બન્યા પછી અમે તેને લાગુ કરીશું.
આ લોકો વારંવાર આવે છે અને કહે છે કે વધુ એક તક આપો, પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીંઃ અરવિંદ કેજરીવાલ
કોઈપણ રાજ્યમાં ચૂંટણી જીતવામાં કે હારવામાં સરકારી કર્મચારીઓની સૌથી મોટી ભૂમિકા હોય છે. હું તેમને વિનંતી કરું છું કે આ સરકાર ભ્રષ્ટ છે. આ સરકાર જન વિરોધી કામ કરી રહી છે. આ સરકારને 27 વર્ષ થઈ ગયા, હવે તેમનામાં ઘમંડ આવી ગયો છે. એકવાર તેમને દૂર કરવી ખૂબ જરૂરી છે. બધા સાથે મળીને તેમને દૂર કરવાની તૈયારી કરો અને તે દિશામાં કામ કરો. અમે તમારી પાસેથી એક તક માંગીએ છીએ. આ લોકો વારંવાર આવીને કહી રહ્યા છે કે વધુ એક તક આપો, વધુ એક તક આપો. પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીં. એટલા માટે હું સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા વિનંતી કરું છું. સોશિયલ મીડિયા પર પ્રચાર કરો, વધુ મા વધુ પ્રચાર કરો.
મારો એટલો જ વાંક છે કે, અમે ગુજરાતના લોકોની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહી છેઃ અરવિંદ કેજરીવાલ
વધુ એક બાબત એ જોવામાં મળી રહી છે કે આ બંને પાર્ટી અમારી વિરુદ્ધ ઉભી થઇ ગઇ છે. આ બંને પાર્ટીઓ મને ખૂબ ગાળો આપે છે કે કેજરીવાલ જૂઠો છે, કેજરીવાલ આતંકવાદી છે. બંનેની ભાષા આજે પણ એક જ છે, બંનેના શબ્દો પણ એક જ છે. મારો શું દોષ છે? હું કહું છું કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર કરીશું. આ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર થાય. મેં કહ્યું કે અમે વીજળી ફ્રી કરીશું. પરંતુ આ બંને પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતની જનતાને મફત વીજળી મળે. મેં કહ્યું કે અમે ગુજરાતની સરકારી શાળાઓ અને હોસ્પિટલોને દિલ્હીની જેમ અદ્ભુત બનાવીશું. આ બંને પાર્ટીઓ મળીને મારા પર હુમલો કરે છે, આ લોકો નથી ઇચ્છતા કે ગુજરાતમાં શાળાઓ સારી હોય, ગુજરાતની હોસ્પિટલ સારી હોય. મારી આજ તો ભૂલ છે કે, અમે ગુજરાતની જનતાની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહ્યા છે. અને હવે જો જો કે આવનારા દિવસોમાં આ લોકો તેમના રાષ્ટ્રીય સ્તરના મોટા મોટા નેતાઓને નીચે ઉતારશે અને આ બધા લોકો આવીને મને ગાળો આપશે અને મારો વાંક એટલો જ છે કે હું ગુજરાતની જનતાની ભલાઈ ઈચ્છું છું.
પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો, એલઇડી, વીસીઇ, શિક્ષકો, ખેડૂતો બધા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જેમ આદમી પાર્ટીની સરકાર બનશે, તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં પૂર્વ સૈનિકો વિરોધ કરી રહ્યા છે, ફોરેસ્ટ ગાર્ડ વિરોધ કરી રહ્યા છે. મેં હમણાં જ એક વિડીયો જોયો જેમાં ખાકી વર્દીવાળાઓ ખાદી વર્દીવાળાઓ સામે લડી રહ્યા છે, તે સારી વાત નથી. નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે, એલઈડી વેટીંગવાળા પ્રદર્શન કરી રહ્યા છે, વીસીઈ પ્રદર્શન કરી રહ્યા છે, શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, એવું લાગે છે જાણે આખું ગુજરાત રસ્તા પર ઉતરી આવ્યું છે. આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું, તેમને આશ્વાસન આપવા માંગુ છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.
ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તે બધા આ દેશના નાગરિક છે, તેમનો પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તેઓ દુઃખી છે અને તેઓને સરકારમાં પરિવર્તન ઇચ્છે છે તો પરિવર્તન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
કેટલાક સરકારી નોકરીયાતોએ આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની અપીલ કરી હતી આ વાત પર અરવિંદ કેજરીવાલજીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું તમામ સરકારી નોકરીયાતોને કહેવા માંગુ છું કે તેમણે કોઈ દિવસ જનતાનો મુદ્દો નથી ઉઠાવ્યો, તેમણે ક્યારેય પણ ગુજરાતમાં જે આટલો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેનો મુદ્દો નથી ઉઠાવ્યો. જેટલા સરકારી કર્મચારીઓ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે તેમના માટે હું તમામ સરકારી નોકરીયાતોનેલ વિનંતી કરું છું કે, એકવાર લખી દો કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે જેમ કે પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, વીસીઈ, શિક્ષક તે બધા આ દેશના નાગરિક છે, તેઓને પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તે દુખી છે અને તેઓ સરકારમાં પરિવર્તન ઈચ્છે છે તો પછી પરિવર્તન આવવું જોઈએ.
ચંદીગઢ હોસ્ટેલમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે, જે દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અમે તેમને કડકમાં કડક સજા અપાવીશું, આવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલજીએ પંજાબમાં ચંદીગઢ હોસ્ટેલમાં બનેલી દુ:ખદ ઘટના પર પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. જે પણ થયું તે ખૂબ જ દુઃખદ છે, એવું ન થવું જોઈએ. અને જેઓ દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમને કડકમાં કડક સજા આપીશું. બધા લોકો રાજનીતિ કરે છે પરંતુ આવા મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ.
જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું, તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએઃ અરવિંદ કેજરીવાલ
મને ભાજપ પ્રત્યે ખૂબ દયા આવે છે. CBI, ED, ઈન્કમટેક્સ, પોલીસ ભાજપ સાથે છે. તેમ છતાં, તેઓ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને અમે આ કર્યું, અમે તે કર્યું તેવું કહ્યા કરે છે. જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું અને તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએ. આનો અર્થ એ છે કે તેમનાથી કામ નથી થતું. સવારથી સાંજ સુધી બેઠાં બેઠાં ખેલ કરે છે. જો કોઈએ ખોટું કર્યું હોય તો તેને જેલમાં મોકલો. અમારા 169 કેસ કર્યા છે, જેમાંથી 134 ક્લિયર થઈ ગયા છે અને 35 હજુ સુધી પેન્ડિંગ છે.
શહેરી વિસ્તારની 66 વિધાનસભાની સીટોમાં જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી, આ વખતે એમને ત્યાં હારનો સામનો કરવો પડશે: અરવિંદ કેજરીવાલ
આજે જ્યારે હું વડોદરા એરપોર્ટ પર ઉતર્યો ત્યારે લગભગ 30-40 લોકોએ “મોદી મોદી” ના નારા લગાવ્યા હતા. અત્યારે ગુજરાતમાં એવું વાતાવરણ બની ગયું છે કે ભાજપને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. કહેવાય છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારની 66 વિધાનસભા સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી. આ વખતે તેમને તે 66 સીટો પર પણ મુશ્કેલી પડવાની છે કારણ કે તેઓ આ વખતે ત્યાંની બધી સીટો જીતવાનાં નથી. તો સ્વાભાવિક છે કે તે લોકો મારા વિરુદ્ધ જ નારા લગાવશે. પરંતુ બીજી વાત ખૂબ જ રસપ્રદ છે કે જ્યારે પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવે છે ત્યારે ભાજપમાંથી કોઈ પણ તેમના વિરુદ્ધ નારેબાજી કરતું નથી. આજે ભાજપ અને કોંગ્રેસ બેઉ પાર્ટીના લોકો મારા વિરુદ્ધ નારેબાજી કરે છે, બંને ભેગા થઇ ગયા છે, બંને મારી પાછળ પડી ગયા છે.
જે વ્યક્તિ એમ કહે છે કે જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તો સમજી લો કે તેમની નિયતમાં ખોટ છે: અરવિંદ કેજરીવાલ
ભાજપના લોકો કહે છે કે, ગુજરાતની જનતાને મફતમાં સુવિધાઓ ન મળવી જોઈએ. આવું એ લોકો કેમ બોલી રહ્યા છે કારણ કે હવે એ લોકો જે પૈસા લૂંટીને સ્વિસ બેંકમાં લઈ જાય છે અને પોતાના ઘરોમાં ભરે છે, આવું બધું કરવા માટે તેમની પાસે પૈસા બચશે નહીં જો ગુજરાતનું રાજકારણ ઈમાનદાર બની જશે, અને મફતની સુવિધાઓ મળવા લાગશે. અત્યાર સુધી આ દેશમાં લૂંટની રાજનીતિ ચાલતી હતી. અત્યાર સુધી દેશના મોટાભાગના નેતાઓ જનતાના પૈસા લૂંટીને સ્વિસ બેંકમાં લઈને જતા હતા, પરંતુ આ દેશમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ ઈમાનદાર રાજનીતિની શરૂઆત કરી છે. અમે ઈમાનદારીથી કામ કરીએ છીએ, પૈસા બચાવીએ છીએ, લાંચ લેતા નથી, આનાથી સરકારના ઘણા પૈસા બચે છે અને તે પૈસાથી અમે જનતાને મફત વીજળી, મફત શિક્ષણ, મફત આરોગ્યની સુવિધાઓ આપીએ છીએ. અને હવે અન્ય પાર્ટીઓને લાગે છે કે જનતાને મફતમાં સુવિધાઓ આપવાની શરુ કરીશું તો લૂંટવા માટે પૈસા બચશે નહીં. એક વાતની ગાંઠ બાંધી લો કે જે વ્યક્તિ કહે છે કે, જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તેની નિયત ખરાબ છે.
ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા: અરવિંદ કેજરીવાલ
છેલ્લા 6 મહિનામાં ભગવંત માન સાહેબે જે કામ પંજાબમાં કર્યા છે, એવા કામ છેલ્લા 75 વર્ષમાં કોઈ સરકારે કર્યા નથી. આજે 75 વર્ષ પછી પંજાબને કટ્ટર ઈમાનદાર અને મહેનતું મુખ્યમંત્રી મળ્યા છે. ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા. આટલા બધાં સારા કામો ભગવાનજીએ કર્યા છે કે તેમના વિરોધીઓને તેમના કામોમાં કોઈ ભૂલ દેખાતી નથી, માટે તેઓ ભગવંત માન સાહેબ પર કીચડ ઉછાળે છે અને તેઓ જે વાત કરી રહ્યા છે તે બધી જુઠ્ઠી છે. ભગવંત માન સાહેબ પંજાબના વિકાસ કાર્યમાં વ્યસ્ત છે પરંતુ તેમના વિરોધીઓ તેમને રોકવા માંગે છે. હું તે વિરોધીઓને પૂછવા માગું છું કે, જો ભગવંત માન 6 મહિનામાં વીજળી મફત કરી શકતા હોય તો બીજી પાર્ટીઓએ છેલ્લા 75 વર્ષમાં વીજળી મફત કેમ નથી કરી? બધા પૈસા લઈને ક્યાં જતા રહે છે? પંજાબના પૈસા કોણે ખાધા?
મને રાજનીતિ કરતા નથી આવડતું, મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરવાનું નથી આવડતું, એ મારી ખામી છે. મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે. મારી પાસેથી તમારી વીજળી મફત કરાવી દો, મારી પાસેથી શાળા-હોસ્પિટલ બનાવડાવી દો. છેલ્લા 6-12 મહિનાથી હું ગુજરાતમાં આવીને એ જ કહી રહ્યા છું કે, હું તમને 24 કલાક વીજળી આપીશ, હું તમારા પાકના સારા ભાવ આપીશ, હું તમારી મોંઘવારી દૂર કરી દઇશ, હું તમારા બાળકોને રોજગાર આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળા બનાવીશ
તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે, પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ : અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં જે દારૂબંધીની સિસ્ટમ છે એનો અમલ ચાલુ રહેશે અને જમીન પર અમલમાં મૂકવામાં આવશે. અત્યારે બધો ધંધો આ લોકોનો છે એ સૌ જાણે છે. 10-15 હજાર કરોડનો બિઝનેસ આ લોકોનો જ છે. તેમના જ લોકો આ ધંધો કરે છે અને બધો નફો કમાય છે. અમે આ બધું નહીં કરીએ, અમે દારૂ વેચીને અમારી પાર્ટી નથી ચલાવતા. તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ.
ગુજરાતની જનતા આ લોકોની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઇ છેઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના કાર્યક્રમોનું સ્થળ વારંવાર બદલવું પડે છે, આ વિશે અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે, આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે અમારે વડોદરામાં જે કાર્યક્રમ કરવાનો હતો તેના માટે અમારે 13 જગ્યાઓ બદલવી પડી. અમે જ્યાં પણ અમારો કાર્યક્રમ ફિક્સ કરતા હતા ત્યાં લોકોને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી કે, “કેજરીવાલનો કાર્યક્રમ ના થવો જોઈએ, આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ ન થવા દેતા.” આ બધું લોકશાહી માટે સારું નથી. આપણે સૌ પક્ષ અને વિપક્ષ છીએ, આપણે એકબીજાના દુશ્મન નથી. આ લોકો જે કરાઈ રહ્યા છે તે ગુંડાગીરી છે અને ગુજરાતની જનતા આ ગુંડાગીરીથી પરેશાન છે. હું નાનો માણસ છું, હું તો આ બધું ભોગવી લઇશ, પરંતુ ગુજરાતની જનતા તેમની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઈ છે, કારણ કે આ લોકો ગુજરાતની જનતા સાથે રોજ ગુંડાગીરી કરે છે.
એ દરમ્યાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત
50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની… નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી… હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ… અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.
ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.
ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
રેવામાં રેલની 136 વર્ષની તવારીખ : સદીઓમાં પેહલી વખત ઐતિહાસિક 18 લાખના ઘોડાપુરની ભરૂચમાં સુનામી
– 1970 ની મહારેલ : ભરૂચમાં 41.50 ફૂટની સપાટી, 256 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં 355 માનવી અને 1972 પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં 15 ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો
– સાલ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવ્યા
– 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– 121.92 મીટરની નર્મદા નદીની સપાટી સુધી 12 લાખ ક્યુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા 8 લાખ ક્યુસેકમાં જ 6 વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત 18 લાખ ક્યુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી
ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ 16 લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
agriculture
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા
સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.
તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.
તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.
મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.
જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.
અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ