ગાંધીનગર
૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

. ૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને
આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નો દેશવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથે આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે.
તા. ૬ જુલાઈ સુધી યોજાનાર આ આધુનિક ટેકનોલૉજીસભર પ્રદર્શનની મુલાકાત લેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓ-યુવાઓ સહિત ટેકનોસેવીઓને અનુરોધ કર્યો હતો.
ટેકનોલૉજીયુક્ત આધુનિક પ્રદર્શનની એક ઝલક :
આ પ્રદર્શનમાં મુખ્યત્વે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, આધાર, સી-ડેક, આયુષમાન ભારત ડિજિટલ મિશન, ડિજિટલ પેમેન્ટ પેવેલિયન, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, સેફ એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટ, ઇ-સંજીવની, ડિજિટલ ભાષિની, નેશનલ ઇ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક, આઈ-ક્રિએટ, આઈટી આધારિત ફિનટેક કંપનીઓ તેમજ બિહાર અને ઉત્તરાખંડના આઈટી વિભાગો વગેરે જેવી મહત્વની સંસ્થાઓ ભાગ લઈ રહી છે.
કેન્દ્ર સરકારની એક આગવી પહેલ CSC એટલે કોમન સર્વિસ સેન્ટર. CSCના માધ્યમથી દેશના લાખો ગામોમાં નાગરિકોને ઘરે બેઠા અંદાજે ૪૦૦ જેટલી સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સહિત ભારતના ૨૮ રાજ્યોમાં ૧,૭૮૬ જેટલી CSC બાળ વિદ્યાલય કાર્યરત છે. આ બાળ વિદ્યાલયમાં ૩ થી ૬ વર્ષના બાળકોને NEP-2020 હેઠળ ટેક્નોલોજી એેનેબલ પ્લેફુલ લર્નિંગ આપવામાં આવે છે. જેનો ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમ IIT દિલ્હી, દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
CSC હેઠળ મુખ્યત્વે ડિજિટલ વિલેજ, CSC એકેડમી, CSC ઓલિમ્પિયાડ, ગ્રામીણ e-store, CSC FPO મોડેલ અને CSC એગ્રિકલ્ચર જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-NCPI અંતર્ગત ‘‘ડિજિટલ પેમેન્ટ પેવેલિયન’’ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ઓનલાઇન પેમેન્ટ સેવાઓ જેવી ભારત પે, કાર્ડ 91, SBI, Zaggle, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંન્ક, Paytm, Tone Tag- પેમેન્ટ સર્વિસ, DBT ભારત અને bob વર્લ્ડ જેવી સેવાઓ અને તેનો ડિજિટલ માધ્યમથી કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
ભારતના નાગરિકોને ઘરે બેઠા AIIMS જેવી પ્રતિષ્ઠિત આરોગ્ય સંસ્થાના તબીબો દ્વારા ટેલિફોન-મોબાઇલ પર માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી વર્ષ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા ઇ-સંજીવની-નેશનલ ટેલીમેડિસિન સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં ૪ કરોડથી પણ વધુ નાગરિકોએ જ્યારે ભારત બહાર ૨ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.
આયુષમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત દરેક નાગરિકોને ૧૪ આંકડાનો આયુષમાન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) નંબર આપવામાં આવશે, જેમાં દર્દીની સંપૂર્ણ વિગતો સામેલ હશે, આ માટે આભા એપ પણ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં દર્દીની સ્વાસ્થ્યલક્ષી તમામ વિગતો સામેલ હશે. આ મિશન હેઠળ હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી, હેલથ ફેસીલિટી રજિસ્ટ્રી અને યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ-યુએચઆઈ જેવી ઓનલાઈન આરોગ્યલક્ષી સુવિધાઓ-સેવાઓ ઉપલબ્ધ થશે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલ ૭૫ જેટલી મહત્વની ડિજિટલ સેવાઓ અંગેની જાણકારી ડિજિટલ માધ્યમથી આપવામાં આવી છે, જેમાં વન નેશન વન રાશન કાર્ડ, ઇ-હોસ્પિટલ, આરોગ્ય સેતુ, પીએમ-કિસાન, ઇ-શ્રમ, ઇ-કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સી-ડેક, પૂના દ્વારા નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્વદેશી સુપર કોમ્પ્યુટર પરમ શાવક-વીઆરનું જ્યારે સી-ડેક ત્રિવેન્દ્રમ દ્વારા નિર્મિત સ્વદેશી માઈક્રો-પ્રોસેસર ‘તેજસ’નું તથા હિઅરીંગ એઈડ ડિવાઈસ ‘તરંગ’નું નિદર્શન કરવામાં આવ્યું છે.
ડિજિટલ ભાષિની એપ થકી કોઈપણ નાગરિક પોતાને માલૂમ ન પડતી ભાષાનું ભાષાંતર કરી શકશે. આ ભાષાંતર ટાઈપ કરેલા અક્ષરનો ફોટો પાડીને કે વૉઈસ દ્વારા પણ ત્વરિત પોતાની ભાષામાંતેનું ભાષાંતર સરળતાથી કરી શકશે. આ પ્રોગ્રામમાં પ્રથમ વર્ષમાં ૧૦ સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ બીજા વર્ષે અન્ય ચાર ભાષાઓને પણ આવરી લેવામાં આવશે. હાલમાં ૭૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને સરકાર મળીને પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માટે કાર્ય કરી રહી છે. પ્રોગ્રામમાં કોઈપણ ઊણપ ન રહે તે માટે મદ્રાસ, હૈદરાબાદ તથા મુંબઈની આઈઆઈટી પ્રોગ્રામના સુચારું આયોજન માટે કાર્યરત છે. આ એપ્લિકેશનના નિર્માણ બાદ કોઈપણ મોબાઈલ કંપની વિનામૂલ્યે તેનો ઉપયોગ કરી શકશે.
આઈ-ક્રિએટ તકનિકી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી આયાતી ચિપ્સ પરનું અવલંબન ઘટાડવા અને ભારતનું આઈપી રાખવા માટે એક ‘સિસ્ટમ ઓન ચીપ’ વિકસાવી રહી છે, જે એક મોટર કન્ટ્રોલર, વાહન નિયંત્રણ એકમ અને બેટરી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમને બે ઇંચની QFN ચીપમાં સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
ગાંધીનગર
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
————–
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી
વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો-ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા
…………………….
આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન
…………………….
ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હેમંત કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખડીઃ પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, મુ. સલુન-તલપદ, તા: નડિયાદ, જિ-ખેડા ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો /વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/-થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
agriculture
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા
સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.
તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.
તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.
મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.
જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.
અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ