શિક્ષણ
JEE મેઈનની પ્રથમ તબક્કાની તારીખોમાં થયો ફેરફાર, 21 અપ્રિલથી શરૂ થશે પરીક્ષા
દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંથી એક એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં અડમિશન માટે લેવામાં આવતી સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે જેઈઈ મેઈન 2022ની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઈઈ મેઈન પરીક્ષાના પહેલા તબક્કાની પરીક્ષાઓની તારીખોમાં સોમવારે એટલે કે 14 માર્ચે ફેરફાર કર્યો છે. આની સૂચના એનટીએ તરફથી તેની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. આ વર્ષે જેઈઈ મેઈન પરીક્ષા બે તબક્કામાં આયોજિત કરવામાં આવી રહી છે.
જેઈઈ-મેનની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 16થી 21 એપ્રિલના મધ્યમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા આ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ડિટેઈલ્સ ચેક કરી શકે છે.
કરિયર કાઉન્સિલંગ એક્સપર્ટ અમિત આહુજાએ જણાવ્યું કે, નવા કાર્યક્રમ અનુસાર, હવે જેઈઈ પરીક્ષા 21 એપ્રિલથી 04 મે, 2022ની વચ્ચે યોજાશે. તેમાં 21, 24, 25 અને 29 એપ્રિલ અને 01 અને 04 મે, 2022ની વચ્ચે પરીક્ષાનો એક નવો કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.
નોટિસમાં NTA દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અનેક બોર્ડ એક્ઝામ્સની ડેટ્સ સાથે પરીક્ષાની તારીખ ક્લેશ થઈ રહી હતી માટે વિદ્યાર્થીઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર સેશન-1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પરીક્ષા માટે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સિટી ઈન્ટિમેશન અને એપ્રિલના બીજા સપ્તાહમાં એક્ઝામ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની લોગઈન ડિટેઈલ્સની મદદથી એડમિટ કાર્ડ મેળવી શકશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ અન્ય અપડેટ્સ માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in જોતા રહે.