સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ
સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ, દ્વારકામાં 13 કરોડ, ડાકોરમાં 14.02 કરોડ અને અંબાજીમાં 47.76 કરોડની આવક
અમદાવાદ,તા. 25 : કોરોનાએ બે વર્ષ સુધી લોકોને ભયભીત રાખ્યા બાદ હળવો થઇ ગયો છે અને તમામ નિયંત્રણો પણ ઉઠી ગયા છે ત્યારે મંદિરો, ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની સંખ્યા વધી જવાને પગલે દાનપેટીઓ છલકાવા લાગી છે. લોકોની ધાર્મિક શ્રધ્ધા વધી ગઇ હોય તેમ મંદિરોએ શ્રધ્ધાળુઓની સંખ્યાની સાથોસાથ દાનનો પ્રવાહ પણ ઘણો વધી ગયો છે. સોમનાથ, દ્વારકા અને ડાકોરના મંદિરોમાં કોરોના કાળમાં દાનનો પ્રવાહ સાવ ધીમો પડી ગયો હતો તેના બદલે હવે મોટો વધારો સૂચવે છે.
કોરોના કાળમા મંદિરો કેટલાક મહિના બંધ રહ્યા બાદ નવેસરથી ખુલ્યા ત્યારે પણ અનેક નિયંત્રણો કારણે ભાવિકોની સંખ્યા ઓછી રહેતી હતી પરંતુ હવે તમામ અંકુશો દૂર થઇ ગયા હોવાના કારણે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટવા લાગ્યા છે. દેશના વિખ્યાત અને બાર જ્યોર્તિલીંગ પૈકીનું પ્રથમ એવા સોમનાથ મંદિરની 2021-22નાં વર્ષની આવક 50.95 કરોડ પર પહોંચી ગઇ છે. આગલા વર્ષે તે 23.25 કરોડ હતી.
દ્વારકાધીશ મંદિરની આવક 2019-20માં 11.03 કરોડ અને 2020-21માં 6.44 કરોડ હતી તે વધીને 2021-22માં 13 કરોડે પહોંચી ગઇ છે. ડાકોરનાં રણછોડરાય મંદિરની 2021-22ની આવક 14.02 કરોડ થઇ છે જે 2020-21માં 7.25 કરોડ થઇ ગઇ હતી. એકમાત્ર અંબાજી મંદિર એવું છે જ્યાં દાનની આવક હજુ કોવિડ પૂર્વેનાં સમય સુધી પહોંચી શકી નથી. બનાસકાંઠાના ડેપ્યુટી કલેક્ટર આર.કે. પટેલે જણાવ્યું હતું કે 2020-21માં 31.92 કરોડની આવક હતી, 2019-20માં 51.63 કરોડનું દાન મળ્યું હતું. 2021-22માં આ આંકડો 47.76 કરોડ થયો છે.
ગત વર્ષની સરખામણીએ આવક વધી હોવા છતાં કોરોના અગાઉના સ્તરે પહોંચી શકી નથી. સોમનાથ મંદિર ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે શ્રધ્ધાળુઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. અત્યારે સરેરાશ રોજ 10 હજાર શ્રધ્ધાળુઓ આવે છે અને શનિ-રવિમાં આ સંખ્યા 15,000 સુધી પહોંચી જાય છે.