સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિત ના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ ને મલ્ટી મીડિયા ના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ થી કેમ શરુ થશે યાત્રા
પહેલાં ચરણમાં આ કાર્યક્રમ આગામી તારીખ ૨૩ માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ, તારીખ ૨૪ માર્ચે , માંગલ્ય પાર્ટી પ્લોટ , દાતાર રોડ, જુનાગઢ ખાતે યોજાશે.આ સમગ્ર આયોજન માં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતી કરશે.આઝાદીના વિવિધ પ્રસંગો માંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક નિસર્ગ ત્રીવેદી એ , એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શન ની બેવડી જવાબદારી સંભાળી છે.
અંકુર પઠાણ સંભાળી રહ્યા છે નૃત્ય નિર્દેશન
જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશન ની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે.કોરોના કાળ પછી વધુ માં વધુ કલાકારો ને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.આગામી તારીખ ૨૩ માર્ચના રોજ સોમનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાત ના નામી કલાકારો સંગીતા લાબડીયા તથા બ્રીજરાજ લાબડીયા પોતાના સ્વરો રેલાવશે. તથા વિષય પ્રસ્તુતિ કરશે જુનાગઢ થી શરૂ કરીને વિશ્ર્વ કક્ષા સુધી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેવી રાધા મહેતા. કાર્યક્રમ નું સંચાલન જુનાગઢ ના જાણીતા કલાકાર રાજુભાઇ ભટ્ટ જ્યારે સ્થાનિક કલાકારો માં પોતાની પ્રસ્તુતી કરશે. નિરૂ દવે, શિતલ નાણાવટી તથા અવધ ભટ્ટ.
24મીએ જુનાગઢમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ
આગામી તારીખ ૨૪ માર્ચના રોજ જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતીઓ ના ગૌરવ સમા કલાકાર અને પાશ્ર્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાના સ્વરો રેલાવશે. ગુજરાત ના સુરીલા અને જાણીતા કલાકાર સાત્વની ત્રીવેદી અને બહાદુર ગઢવી , અને જુનાગઢ ના જ કલાકાર પરીન્દા જાની પણ સાથે જોડાશે. જુનાગઢ ખાતે પણ રાધા મહેતા જુનાગઢ મુક્તિ દિન સહિત ની વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક કાર્યક્રમ નું સંચાલન કરશે.
ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમ ને ગુજરાત પ્રવાસન નિગમ, જીલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ મહાનગર પાલિકા, સોમનાથ નગરપાલિકા સહિત બન્ને જીલ્લા ના પ્રાભારી મંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો નો સહકાર મળ્યો છે.