ગાંધીનગર
ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ:
માહિતી નિયામકની કચેરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે
ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે
‘પોષણ અભિયાન’ અંગે કાર્યશાળા યોજાઈ: તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન
સરકારી પ્રયત્નોથી નાગરિકોના જીવનધોરણમાં આવેલા બદલાવને
વધુ ઉજાગર કરવા જોઈએ: માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા
હકારાત્મક સાફલ્યગાથાઓ સમુદાયોનું પ્રેરક બળ છેઃ ગુજરાત યુનિસેફ વડા પ્રશાંત દાસ
નાગરિકો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવામાં માહિતી ખાતાની વિશેષ ભૂમિકા
માહિતી ખાતાના કર્મયોગીઓને પ્રવર્તમાન યુગમાં આધુનિક ટેકનોલૉજીના ઉપયોગથી પ્રચાર-પ્રસારની પદ્ધતિઓથી વધુ માહિતગાર કરવા માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “કોમ્યુનિકેટ ટુ એડવોકેટ ઑન પોષણ અભિયાન” વિષયક એક દિવસીય તાલીમ- કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહિતી નિયામક શ્રી આર. કે મહેતાએ આ કાર્યશાળાના હેતુઓ વિશે પ્રેરક ઉદબોધન કર્યું હતું.
માહિતી ખાતાની દરેક કચેરીઓમાં આજે તમામ પેઢીના અધિકારીઓ કર્મચારીઓ છે, જેની પાસે પ્રત્યાયનનો સારો એવો અનુભવ છે.
આ કાર્યશાળાના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે જનકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં માહિતી ખાતાની વિશેષ ભૂમિકા છે. રાજ્યની મહિલાઓ અને બાળકોના આરોગ્ય-પોષણની કાળજી લેવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જેવી મહત્વપૂર્ણ યોજના જનતા-જનાર્દન સુધી પહોંચે તે જરૂરી છે. ગર્ભધારણથી શરૂ કરી ૧, ૦૦૦ દિવસ સુધી માતા-બાળકના પોષણની દરકાર કરતી આ સરકારી યોજના વિશે સમાજમાં જાગૃતિ આવે તે જરૂરી છે. આ માટે માતા-બાળકના પોષણમાં સુધારો લાવવા, બાળ મૃત્યુદર અને માતા મૃત્યુ દરમાં ઘટાડો લાવવા તથા અપૂરતા મહિને જન્મ કે ઓછા વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઘટાડવા માટે પોષણની ભૂમિકા સમજી પ્રત્યાયન કરવામાં આવે તો સમાજમાં હકારાત્મક પરિણામ આવી શકે.
યુનિસેફના વડા પ્રશાંત દાસે પોષણ અભિયાન અંતર્ગત દર સપ્ટેમ્બરમાં યોજાતા ‘પોષણ માસ’ વિશે સંબોધનમાં જણાવ્યું હતું કે, હકારાતમ્ક સાફલ્યગાથાઓ સમુદાયોને વિશેષ પ્રેરણા પૂરી પાડે છે, આથી માહિતી ખાતાની ભૂમિકા વધી જાય છે. પોષણ અભિયાન અંતર્ગત સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગર્ભા મહિલાઓ અને બાળકોનું સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે.
યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(CCCR)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી પ્રચાર-પ્રસારની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી અગે તેમજ પોષણ અભિયાન સંદર્ભે વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.
આ તાલીમ કાર્યશાળામાં માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા સહિત અમર ઉજાલા દૈનિકના એક્ઝીક્યુટિવ એડિટર સંજય અભિજ્ઞાન દ્વારા સારી પ્રેસ નોટના વિવિધ પાસાંઓ અંગે, આઈ.સી.ડી.એસના અધિકારી આરતી ઠાકરે સરકારની માહિલા અને બાળકોના પોષણ અંગેની યોજનાઓ વિશે, સોશિયલ મીડિયા એક્સપર્ટ અમિત પંચાલે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન તેમજ પોષણ અભિયાનના વિવિધ પાસાંઓ ઉપર પોતાના વિચારો રજૂ કરીને સવિસ્તૃત માહિતી આપી હતી.
તાલીમના પ્રારંભમાં યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞ મોરિયા દાવા દ્વારા તાલીમની રૂપરેખા આપી વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા સહિત પ્રચાર-પ્રસિદ્ધિના વ્યાપક ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. તાલીમના અંતે ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક જીગર ખુંટ દ્વારા આભારવિધિ કરાઈ હતી.
આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી સહિત પ્રાદેશિક કચેરીઓ અને વિવિધ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.