કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે :મોજપ ખાતે પોલીસ એકેડેમીની ખાસ મુલાકાત લેશે
દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા બાદ મહાત્મા ગાંધી મંદિરે જશે
કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ આગામી શનિવારે દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. તેઓ મોજપ ખાતે પોલીસ કોસ્ટલ એકેડેમીની ખાસ મુલાકાત લેનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર તા. 28 મી ના રોજ સવારે અમદાવાદથી નીકળી વિમાનમાર્ગે સવારે 10:15 વાગ્યે જામનગર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર માટે મારફતે 11 વાગ્યે દ્વારકા હેલીપેડ ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિરે જશે અને 11:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે.
ત્યારબાદ બપોરે બાર વાગ્યે ગૃહ મંત્રી દ્વારકા નજીક આવેલા મોજપ ગામે સ્થિત પોલીસ કોસ્ટલ એકેડેમી ખાતે પહોંચશે. જ્યાં બપોરે સવા વાગ્યા સુધી તેઓ પોલીસ કોસ્ટલ એકેડેમીની મુલાકાત લઇ અને જરૂરી સંવાદ કરશે. સવા વાગ્યે તેઓ દ્વારકાના હેલીપેડથી જામનગર તરફ જવા રવાના થશે અને બે વાગ્યે જામનગરથી નીકળ્યા બાદ અઢી વાગે અમદાવાદ પહોંચશે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય પછી ગૃહમંત્રી અમિત શાહનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થનાર છે. તે માટેની તડામાર તૈયારીઓ સરકારી તંત્ર તથા ભાજપ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી છે.