સુપ્રિમ કોર્ટે રાષ્ટ્રદ્રોહના કેસો નહી કરવા આદેશ કર્યો- રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત
સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણયઃ રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિત, નવા કેસ નહીં કરવા આદેશ
– જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ કેસની આગળની સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ સાંભળ્યા બાદ આ કાયદાને સ્થગિત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. ક્રિમીનલ પ્રોસિજર કોડ (CRPC)ની કલમ 124A અંતર્ગત આ કેસ નોંધાય છે.
જુલાઈ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને આ મામલે પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિશાનિર્દેશ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહ કાયદા (Sediton Law)ની બંધારણીય માન્યતાને પડકારતા કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે, તેમણે રાજ્ય સરકારો માટે બહાર પડનારા નિર્દેશનો ડ્રાફ્ટ તૈયાર કરીને રાખ્યો છે. તે પ્રમાણે રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ હશે કે, જિલ્લા પોલીસ કેપ્ટન એટલે કે, એસપી કે તેનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરીની રાજદ્રોહની કલમોમાં એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, હાલ આ કાયદા પર રોક ન લગાવવામાં આવે.
સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ જણાવ્યું કે, પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવાના સમર્થનમાં પૂરતા કારણો પણ જણાવશે. તેમણે જણાવ્યું કે, કાયદા પર પુનર્વિચાર સુધી વૈકલ્પિક ઉપાય સંભવ છે.
આંકડાઓની વાત અંગે સોલિસિટર જનરલે કહ્યું કે, તે જમાનતી કલમો છે, હવે તમામ લંબિત કેસની ગંભીરતાનું વિશ્લેષણ કે આકારણી કરી શકવા મુશ્કેલ છે.
અરજીકર્તા તરફથી દલીલ રાખતી વખતે વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ એવી માગણી કરી હતી કે, રાજદ્રોહ કાયદા પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની જરૂર છે.
કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે
આ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, નાગરિકોના અધિકારોની રક્ષા સર્વોપરી છે. આ કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. તેની પૃષ્ટિ એટર્ની જનરલે પણ પોતાના મંતવ્યોમાં સાફ કહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ 3 જજની બેંચ રાજદ્રોહ કલમની માન્યતા અંગે સુનાવણી કરી રહી છે. આ બેંચમાં ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ થાય છે.
જાણો અથથી ઇતિ
રાજદ્રોહ અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ અંગે કેટલીક જાણકારી લોકો સુધી પહોંચાડવી અનિવાર્ય છે. રાજદ્રોહ એટલે શું અને તે લોકોના વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છીનવી લે છે કે નહીં? આ અધિકાર અને રાજદ્રોહ વચ્ચેની પાતળી ભેદરેખા કેટલા અંશે સમજવી શક્ય છે? સુપ્રીમ કોર્ટ એટલે કે દેશની સર્વોચ્ચ અદાલત આ અંગે શું કહી રહી છે તે અંગે પણ માહિતી હોવી જરૂરી છે. રોજ જે લોકો પત્રકાર ઉપર લાદવામાં આવેલી આ કલમનો વિરોધ કરી રહ્યા છે, જેમણે આ પત્રકાર ઉપર આ કલમ લાદી છે તેમની સમજણમાં કેટલીક અજાણી બાબત હોય તો આવી જાય.
રાજદ્રોહ શું છે?
ભારતીય દંડ સંહિતા (ઈન્ડિયન પીનલ કોડ)ની કલમ 124A હેઠળ રાજદ્રોહની વ્યાખ્યા કરવામાં આવી છે. આ અનુસાર સરકાર અને ભારતના કાયદા વિરુદ્ધ કોઈ તિરસ્કાર ફેલાય, હાનિ પહોંચે એવા ઉચ્ચારણ, લેખિત શબ્દો કે સંજ્ઞાનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે તો તેની સામે રાજદ્રોહ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આ કાયદો વર્ષ 1837માં થોમસ મેકલે દ્વરા તૈયાર કરવામાં આવ્યો હતો પણ જયારે IPC અમલમાં આવ્યો ત્યારે તેને કાઢી નાખવામાં આવ્યો હતો. વર્ષ 1870માં કલમ 124A દાખલ કરવામાં આવી હતી. સર જેમ્સ સ્ટીફન દ્વારા દેશમાં એ સમયે બ્રિટીશ હકૂમત વિરદ્ધ વધી રહેલ ચળવળ અને વિરોધને ડામી દેવા માટે આ કલમ દાખલ કરવામાં આવી હતી.
કાયદા હેઠળ સજા શું?
અ બિનજમીનપાત્ર ગુનો છે અને તેના હેઠળ 3 વર્ષથી આજીવન કેદ સુધીની સજા અને દંડ થઈ શકે છે. આ વ્યક્તિને કોઈ સરકારી નોકરી મળી શકે નહીં, તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે.
રાજદ્રોહના કેટલાક મહત્વના કેસ
સૌથી પહેલો અને ચકચારી કેસ બાંગોબાસી અખબારના તંત્રી જોગેન્દ્ર ચંદ્ર બોઝ ઉપર 1891માં થયો હતો. આ ઉપરાંત બાલ ગંગાધર તિલક અને મહાત્મા ગાંધી સામેના 1922ના કેસ પણ છે. તાજેતરના ઉદાહરણમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના કન્હૈયા કુમાર જેવા ચર્ચિત કેસો પણ થયા છે. કેટલાક કેસ હજુ કોર્ટમાં ચાલુ છે અને કેટલાકમાં ચુકાદાઓ આવી ગયા છે.
ભારતના કાયદા પંચનું રાજદ્રોહ અંગે વલણ
વર્ષ 1968માં પંચે રાજદ્રોહની કલમ નાબૂદ કરવા અંગેના વિચારને નકારી કાઢ્યો હતો.
વર્ષ 1971માં વધુ એક અહેવાલમાં પંચે રાજદ્રોહની વ્યાખ્યા અને તેના અર્થને વ્યાપક બનાવવાની તરફેણ કરી હતી. આ તરફેણમાં માત્ર સરકાર નહીં પણ ન્યાયતંત્ર સામેના વિરોધને પણ સામેલ કરવાની વાત કરવામાં આવી હતી.
વર્ષ 2018માં પંચે નિષ્ણાતોનો અભિપ્રાય આવકારીને કલમ 124A અંગે પુનઃવિચાર કરવાની જરૂર છે કે નહીં તેમ નક્કી કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના રાજદ્રોહ અંગેના ચુકાદા
ભારતીય દંડ સંહિતા (ઈન્ડિયન પેનલ કોડ)ની કલમ 124A બંધારણીય છે કે નહી તે અંગે સૌથી મહત્વનો ચુકાદો વર્ષ 1962માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આપ્યો હતો. કેદાર નાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં આપેલો આ ચુકાદો દીવાદાંડી સમાન છે અને તેને આજે પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બન્નેએ સમજવો પડે છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટ પોતે પણ એ પછીના કેસમાં ટાંકતી આવી છે.
વર્ષ 1962ના આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, કલમ 124A બંધારણીય છે અને તે વ્યક્તિના વાણી સ્વાતંત્ર્ય ઉપર કોઈ તરાપ નથી.
પણ સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે હતું કે કોઈ વ્યક્તિ સામે રાજદ્રોહની કાર્યવાહી તો જ થઈ શકે કે જો તેના શબ્દો, લેખન કે અન્ય કર્યોનો ઉદ્દેશ હિંસા ભડકાવવાનો હોય કે તેની ઈચ્છા કે વર્તણૂક જાહેર અવ્યવસ્થા ફેલાવે કે જાહેર શાંતિમાં ખલેલ (વિક્ષેપ) ઉભો કરે.
સપ્ટેમ્બર 2016માં વધુ એક રાજદ્રોહના કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે એક NGO કોમન કોઝ અને પરમાણુ વિજ્ઞાન વિરોધી કાર્યકર્તા એસ પી ઉદયકુમારના કેસમાં દેશની પોલીસને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સુધી રાજદ્રોહના કેસની વાત છે ત્યાં સુધી કેદાર નાથ સિંહના 1962ના ચુકાદામાં આપવામાં આવેલા અર્થઘટનનું પાલન કરવામાં આવે.
જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ ઉદય લલિતની બેન્ચે જણાવ્યું હતું કે, રાજદ્રોહ અંગે કલમ 124Aના જેટલા કેસ છે એમાં એટલું જ કહેવાનું કે કેદાર નાથ સિંહ વિરુદ્ધ બિહાર રાજ્યનો જે ચુકાદો છે અને તેમાં જે સિદ્ધાંતો બંધારણીય બેન્ચે આપ્યા છે તેનું દરેક સત્તાવાળાએ પાલન કરવું જોઈએ.
ફેબ્રુઆરી 2020માં વધુ એક કેસમાં સુપ્રીમ કોર્ટે વધારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે માત્ર ભારત વિરોધી નારાબાજી લગાવવાથી રાજદ્રોહનો કેસ બનતો નથી. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય કે સરકાર સામે વિરોધ કે તેની ટીકા માત્રથી રાજદ્રોહનો કેસ બની શકે નહીં. આ કેસમાં બેંગ્લોર ખાતે એક દેખાવમાં વિધાર્થી નેતાઓએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા અને પાકિસ્તાનની તરફેણ કરવામાં આવી હતી.